Advertisement

  • બનાવો સાંજના નાસ્તા માટે અને ડાયાબિટીક મૈત્રીપૂર્ણ આ અળસીના શકરપારા

બનાવો સાંજના નાસ્તા માટે અને ડાયાબિટીક મૈત્રીપૂર્ણ આ અળસીના શકરપારા

By: Jhanvi Mon, 26 Mar 2018 10:37 PM

બનાવો સાંજના નાસ્તા માટે અને ડાયાબિટીક મૈત્રીપૂર્ણ આ અળસીના શકરપારા

આપણને ઘણા લોકો વારંવાર કહેતા હોય છે કે અળસીમાં ઑમેગા-૩ ફેટી એસિડ હોય છે અને તે શાકાહારી લોકો માટે અતિ ઉપયોગી તત્વ છે. છતાં પણ વધુ પડતા લોકોને આ પૌષ્ટિક સામગ્રી વાપરીને કોઇ મજેદાર વાનગી બનાવતા નથી આવડતી. આમ તો આપણે મુખવાસ કે રાઇતામાં અળસીનો ઉપયોગ જરૂર કરીએ છીએ, પણ અમે અહીં એક નવી જ રીતે આ ફાઇબર, કેલ્શિયમ અને ઑમેગા-૩ ફેટી એસિડ ધરાવતી અળસીનો ઉપયોગ કરકરા અળસીના શકરપારા બનાવવા કર્યો છે. સાંજના નાસ્તા માટે આ શકરપારા ખૂબ જ મજેદાર લાગશે.

સામગ્રી

૧/૪ કપ કરકરો અળસીનો પાવડર
૧ કપ ઘઉંનો લોટ
૧ ટેબલસ્પૂન જેતૂનનું તેલ
૧ ટેબલસ્પૂન સૂકા મિક્સ હર્બસ્
૧ ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્
મીઠું , સ્વાદાનુસાર

વિધિ

1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી (લગભગ ૧/૪ કપ) મેળવી કઠણ કણિક તૈયાર કરી લીધા પછી તેને ઢાંકીને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.

2. તે પછી કણિકના ૨ સરખા ભાગ પાડી લો.

3. કણિકનો એક ભાગ ગોળાકારમાં કોઇપણ લોટનો ઉપયોગ ન કરતાં વણી લો. તેની ચારે બાજુએથી થોડી કાપકૂપ કરીને આડો અવળો ભાગ કાઢી નાંખી પરિપૂર્ણ ચોરસ તૈયાર કરો.

4. હવે આ ચોરસ પર ફોર્ક વડે હળવા હાથે કાંપા પાડીને પછી એક ચપ્પુ વડે ચતુષ્કોણ ટુકડા પાડી લો.

5. રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ કણીકના બીજા ભાગ વડે પણ શકરપારા તૈયાર કરી લો. આમ કુલ મળીને લગભગ ૪૫ શકરપારા તૈયાર થશે.

6. હવે આ શકરપારાને બેકિંગ ટ્રે પર ગોઠવી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) તાપમાન પર ૧૫ મિનિટ સુધી શકરપારા બન્ને બાજુએથી હળવા બ્રાઉન અને કરકરા બને તે રીતે વચ્ચે દર ૫ મિનિટે ઉથલાવતા રહી બેક કરી ઠંડા થવા બાજુ પર રાખો.

7. તરત જ પીરસો અથવા હવાબંધ બરણીમાં ભરી રાખો.